તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં એક સુધારાનું બિલ રજૂ કરાયું હતું. જે અંતર્ગત લોકતંત્રના પ્રતિનિધિ જો કોઈ પણ ફોજદારી ગુના હેઠળ ૩૦ દિવસથી વધુ સમય જેલમાં રહે તો તે આપોઆપ પદ પરથી દુર થઈ જશે. જે ખૂબ ચર્ચામાં આવ્યું. પરંતુ થોડા સુધારા વધારાની જોગવાઈને પગલે સંસદમાંથી પાસ કરવામાં નથી આવ્યું.
ત્યારે દેશમાં લડાતી ચૂંટણીઓ સંદર્ભે કાર્યરત એનજીઓ, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જેને અંગ્રેજીમાં ટુંકમાં ADR કહેવામાં આવે છે. તેણે જાહેર કર્યું છે કે, તેણે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ 30 વર્તમાન મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આ ડેટા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા તેમના દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટ મુજબ, 10 એટલે કે 33 ટકા મુખ્યપ્રધાનોએ તેમની સામે નોંધાયેલા ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાં હત્યાના પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધાકધમકી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે કેન્દ્રની મોદી સરકારે પ્રધાન, મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન જો 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમણે જે તે પદનો ત્યાગ કરવો પડશે. આ બિલ અંતર્ગત ગંભીર ફોજદારી આરોપોમાં 30 દિવસ માટે ધરપકડ કરાયેલા વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને પ્રધાનોને દૂર કરવાની જોગવાઈ છે.
